ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઘણી બેઠકો છે, જ્યાં મુસ્લિમ સમુદાય ચૂંટણી પરિણામો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો કે, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ મુસ્લિમ ઉમેદવાર ઉભા કરીને આ સમુદાયના મતોનું વિભાજન કર્યું અને તેનો ફાયદો ભાજપને મળ્યો. આ બેઠકોમાં મેરઠ, અલીગઢ, ફિરોઝાબાદ અને મુરાદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકો મુખ્ય હતી.
બ્રાસ સિટી તરીકે ઓળખાતું શહેર મુરાદાબાદ એક સમયે સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવતું હતું. હવે આ વાત જૂની થઈ ગઈ છે. મુરાદાબાદ મુસ્લિમ બહુમતી બેઠક હોવા છતાં, ભાજપે અહીં જંગી જીત મેળવી છે. 47 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ જિલ્લામાં જીત કે હાર મુસ્લિમ મતદારો નક્કી કરે છે. આ જ કારણ હતું કે ભાજપ સિવાય અન્ય પક્ષોએ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ તરફથી વિનોદ અગ્રવાલ મેદાનમાં હતા જેની સામે કોંગ્રેસે હાજી રિઝવાનને ટિકિટ આપી હતી.
મહત્વનું છે કે મતગણતરી દરમ્યાન 12મા રાઉન્ડમાં પણ ભાજપ આગળ હતું. બપોરે 2 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનો તફાવત 36,861 હતો. જેમા ભાજપને 93,148 અને કોંગ્રેસને 56,287 વોટ મળ્યા હતા. ગત ચૂંટણીમાં પણ આ બેઠક ભાજપે કબજે કરી હતી. હવે ફરી એકવાર અહીં પાર્ટીની જીત થઈ છે.
ફિરોઝાબાદ
ફિરોઝાબાદમાં પણ ભાજપે તમામ પક્ષોને હરાવ્યા હતા. ભાજપ અને AAP સિવાય, અન્ય પક્ષોએ 85 ટકા હિંદુ બહુમતી ધરાવતા જિલ્લામાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ, સમાજવાદી પાર્ટી ઉપરાંત કોંગ્રેસે નુઝહત અંસારીને, બહુજન સમાજ પાર્ટીએ રૂખસાના બેગમને અને આમ આદમી પાર્ટીએ રાજકુમારી વર્માને ટિકિટ આપી હતી.
ગત નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે ફિરોઝાબાદ કબજે કર્યું હતું. ત્યારબાદ ભાજપના ઉમેદવાર નૂતન રાઠોડે 42,392 મતો સાથે બ્લોકબાસ્ટર જીત નોંધાવી હતી. કમનસીબે, આ વખતે સપાના ઉમેદવાર મશરૂર ફાતિમા AIMIMની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જેમાં ગણતરી દરમાયન બપોરના 2 વાગ્યા સુધીના અપડેટ્સ મુજબ, 22મા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કામિની રાઠોડને 69,703 વોટ મળ્યા જ્યારે મશરૂર ફાતિમાને 48935 વોટ મળ્યા. બંને ઉમેદવારો વચ્ચે જીતનું માર્જીન 20750 રહયું હતું.
મેરઠ
મેરઠ સમાજવાદી પાર્ટી માટે સુરક્ષિત બેઠક છે તેવું માનવામાં આવતું હતું. પાલિકાની ચૂંટણીમાં સપાનું મુસ્લિમ-યાદવ સમીકરણ પાછળ રહી ગયું હતું. ભાજપના ઉમેદવાર હરિકાંત આહલુવાલિયા બપોરે 2 વાગ્યા સુધી આગળ હતા. તેમને 43,480 મત મળ્યા છે. આ સિવાય AIMIM બીજા નંબરે અને સમાજવાદી પાર્ટી 23,811 વોટ સાથે ત્રીજા નંબર પર હતી. 34 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં એવું માનવામાં આવતું હતું કે મુસ્લિમ-યાદવ સમીકરણ ચોક્કસપણે સપાને ફાયદો પહોંચાડી શકે છે, પરંતુ તે એક વાત જ રહી.
અલીગઢ
આ વખતે અલીગઢમાં સ્થિતિ બદલાઈ છે. ભાજપે બસપાને હરાવ્યા છે. ગણતરીમાં બીજેપીના પ્રશાંત સિંઘલને 64,032 વોટ મળ્યા છે. જેની સામે સમાજવાદી પાર્ટીના હાજી ઝમીરુલ્લાહ 40,985 મતો સાથે બીજા સ્થાને છે, જ્યારે BSP – જેણે ગત ચૂંટણીમાં ભાજપને પછાડ્યું હતું. બસપાએ ફરી એકવાર સલમાન શાહિદને ટિકિટ આપી, જેમણે 2017ની ચૂંટણીમાં ડો. રાજીવ અગ્રવાલને હરાવ્યા હતા. આ બેઠક 1995થી ભાજપનો ગઢ છે. 2017માં બસપાએ જીત મેળવી હતી, પરંતુ ફરી એકવાર ભાજપે તેનો ગઢ કબજે કર્યો છે.