દિલ્હીના અસલી બોસ કોણ, સરકારી અધિકારીઓ પર કોનું નિયંત્રણ તે મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલા અધિકારનો ઉપયોગ કરી એક સચિવની બદલી કર્યાના કલાકોમાં જ કેજરીવાલ સરકારે ફરી સુપ્રીમ કોર્ટનું શરણ લેવું પડયું છે. રાજ્ય સરકારના અધિકારીની બદલીના નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી નથી.
કેજરીવાલ સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં કહ્યું કે, સર્વિસીસ સેક્રેટરીને હટાવવાના આદેશને કેન્દ્ર સરકાર મંજૂરી આપતી નથી. સાથે જ કોર્ટને જણાવાયું કે, એલજી ૨૦૧૫નું નોટિફિકેશન રદ કરવા અંગે સત્તાવાર આદેશ મળવાની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી સરકારની અરજી પર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, તેઓ આ બાબતનું આગામી સપ્તાહે લિસ્ટિંગ કરવા અંગે વિચારશે. હકીકતમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાના કલાકો પછી જ કેજરીવાલ સરકારે પહેલું મોટું પગલું લેતા સેવા (સર્વિસીસ) વિભાગના પ્રભારી મંત્રી સૌરભ ભારદ્વાજે સચિવ આશિષ મોરેને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપ્યો હતો અને તેમના સ્થાને અનિલ કુમાર સિંહની નિમણૂકનો આદેશ આપ્યો હતો.
કેજરીવાલ સરકારની ફરિયાદ છે કે કેન્દ્ર સરકાર આ આદેશનો અમલ કરવામાં અવરોધો ઊભા કરી રહી છે. હકીકતમાં કેન્દ્ર સરકારના જે નોટિફિકેશન હેઠળ એલજીને સર્વિસીસના પ્રમુખ બનાવાયા હતા, તે હજુ સુધી રદ થયું નથી. બંધારણીય બેન્ચના ચૂકાદા પછી તેને રેગ્યુલર બેન્ચને મોકલાશે, જેના આદેશ પછી નોટિફિકેશન રદ કરી શકાય છે. આપ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સચિવની ટ્રાન્સફરના તેના આદેશનો અમલ નથી કરાઈ રહ્યો, કારણ કે એલજી મે ૨૦૧૫ના રોજ ગૃહમંત્રાલયનું નોટિફિકેશન રદ કરવા માટે કોર્ટના સત્તાવાર આદેશની રાહ જોઈ રહ્યા છે.