ભારતના પાડોશી દેશ નેપાળે ફરી એકવાર ભારતનું ટેન્શન વધાર્યું છે. નેપાળના નાગરિકો તરફથી ઊઠાવાયેલા પગલાં બાદ ભારત પણ બોર્ડર પર એલર્ટ થઈ ગયું છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં આ મામલો સામે આવ્યો છે. કાળી નદીના કિનારે ઘટખોલામાં ડેમના નિર્માણનો વિરોધ કરતાં નેપાળના નાગરિકો દ્વારા પથ્થરમારો કરાયાની ઘટના બની હતી.
અચાનક થયો પથ્થરમારો, મજૂરો થયા ભયભીત
આ દરમિયાન ત્યાં કાર્યરત જેસીબીને નુકસાન થયું હતું. પથ્થરમારા વખતે ત્યાં કામ કરતા શ્રમિકોએ હેમખેમ જીવ બચાવ્યો હતો. શુક્રવારે બે નેપાળી યુવકોએ અચાનક ઝીરો પોઈન્ટ ઘટખોલામાં ભારતીય ક્ષેત્રમાં કામ કરતા મશીનો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા પથ્થરમારાને લીધે ત્યાં કામ કરતાં મજૂરો ડરી ગયા હતા. આ ઘટનાની જાણકારી પોલીસ અધિકારી કુંવર સિંહ રાવતને આપવામાં આવી હતી. તેમને જણાવાયું કે પથ્થરબાજી સાથે નેપાળના યુવકોએ અશ્લીલ હરકતો પણ કરી હતી.
નેપાળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પણ કાર્યવાહી ન કરી
જોકે અચરજની વાત તો એ છે કે આ સમયે નેપાળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પણ નેપાળ પોલીસ તરફથી પથ્થરમારો કરી રહેલા યુવકોને અટકાવાયા નહોતા. આ ઘટનાને લીધે ભારતીય નાગરિકો રોષે ભરાયા હતા. માગ કરાઈ હતી કે બોર્ડર પર કડકાઈ કરવામાં આવે જેથી આવી ઘટના ફરીવાર ન બને.